એક કપલની વાત છે. બન્નેએ લવમેરેજ કર્યા હતા. મેરેજનાં પંદર વર્ષ પછી પત્નીને પૂછવામાં આવ્યું કે તને કોઈ અફસોસ છેે? પત્નીએ કહ્યું કે હા, એક અફસોસ છે. મને એમ થાય છે કે હું વહેલી કેમ આ વ્યક્તિ સાથે ન આવી ગઈ? ઘરના લોકો રાજી ન હતા એમાં મેં એને પાંચ વર્ષ ટટળાવ્યો હતો. રડી રડીને અમે એ પાંચ વર્ષ કાઢયાં હતાં. આજે એવું થાય છે કે અમે મૂરખ હતાં! પ્રેમ અને કરિયર બે એવી બાબતો છે, જે સવાલો અને મૂંઝવણનાં બંડલ લઈને આવે છે. નોકરી કરવા બીજા શહેરમાં જવું કે નહીં? નવી જોબની ઓફર સ્વીકારવી કે નહીં? હા, દરેક નિર્ણય સાચા પડે એ જરૂરી નથી. સાથોસાથ એ પણ એટલી જ સાચી વાત છે કે દરેક ડિસિઝન ખોટા પડે એવું પણ જરૂરી નથી. એટલી વાત યાદ રાખવાની કે કોઈ પણ નિર્ણય લઈ લીધા પછી ક્યારેય એ નિર્ણયનો અફસોસ ન કરવો. ખોટો પડયો તો ખોટો પણ એ મારો નિર્ણય હતો. નિર્ણય લેશો તો એ સાચો પડશે અને કદાચ ખોટો પણ પડશે પણ નિર્ણય ન લેવો એ તો ખોટું જ છે. દરેક વખતે કૂદી પડવાનું અને જોખમ લઈ લેવાનું પણ જરૂરી નથી, ઘણી વખત ન કરવાનો નિર્ણય પણ સાચો હોય છે. મૂંઝવણ વધી જાય ત્યારે છેલ્લે દિલને પૂછી લેવાનું અને દિલ જે કહે એ વાત માની લેવાની.